કપાલભાતિ પ્રાણાયામ.
કપાલભાતિ પ્રાણાયામ એટલે શું?
ભસ્ત્રાવલ્લોહકારસ્ય રેચપૂરૌ સસમ્ભ્રમૌ |
કપાલભાતિર્વિખ્યાતા કફદોષવિશોષણી ||
ષટ્કર્મ નિર્ગતસ્થૌલ્ય કફદોષ મલાદિકઃ |
પ્રાણાયામં તતઃ કુર્યાદનાયાસેન સિદ્ધયતિ ||
પ્રાણાયામૈરેવ સર્વે પ્રશુષ્યન્તિ મલા ઇતિ |
આચાર્યાણાં તુ કેષાંચિદન્યત્કર્મ ન સંમતમ્ ||
‘કપાલભાતિ’ એ સંસ્કૃત શબ્દ છે. કપાલ એટલે કપાળ(મસ્તિષ્ક-ભાલ) અને ભાતિ એટલે જ્યોતિ-પ્રકાશ-ચમકતું તથા 'પ્રાણાયામ' એટલે શ્વાસોચ્છ્વાસની તકનીક-પ્રક્રિયા(#Technique).
કપાળની અંદર આવેલા તમામ અવયવોને તેજસ્વી બનાવવાની અને ચમકાવવાની ક્રિયા. કોઈ પણ ચીજ તેજસ્વી ત્યારે જ બને જ્યારે એ શુદ્ધ હોય. વ્યક્તિના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ કપાળ છે. તન અને મનથી સ્વસ્થ વ્યક્તિનું કપાળ ઓજસવાળું હોય છે. કપાલભાતિ આપણા શ્વસનતંત્ર વાટે આખા શરીરને શુદ્ધ કરે છે જેનું પ્રતિભાવ(#reflection) આપણા ચહેરાની ચમકરૂપે દેખાય છે.
શ્વાસોશ્વાસની આ ક્રિયાથી શરીરનાં ઝેરી અને નકામાં દ્રવ્યો ઉછ્વાસ વાટે બહાર ફેંકાઈ જાય છે અને આપમેળે વધુ ઑક્સિજન બૉડીમાં જતો હોવાથી ફૅટ બળવાની ક્રિયા ઝડપી બને છે. લાંબા ગાળા સુધી આ ક્રિયા નિયમિત કરવાથી શરીર કાંતિમય બને છે
યોગક્રિયાની ભાષામાં શ્વાસ શરીરમાં પૂરવો એટલે પૂરક કહેવાય અને કાઢી નાખવો એને રેચક કહેવાય છે. કપાલભાતિમાં ઉછ્વાસ દ્વારા શરીરના ખૂણેખાંચરે ભરાયેલા કાર્બન ડાયોક્સાઇડ અથવા તો બિનજરૂરી વાયુઓને બહાર કાઢવામાં આવે છે. બગાડ બહાર નીકળે તો ઑક્સિજન સારી રીતે લોહીમાં ભળી શકે અને ઑક્સિજનને કારણે શરીરની તમામ ક્રિયાઓ શુદ્ધ થઈને વધુ સારી રીતે ચાલે. ઉછ્વાસ વાટે ટૉક્સિન્સ દૂર થવાથી શ્વસનતંત્ર સક્રિય અને સુદૃઢ બને છે.
રીત:-
- કરોડરજ્જુ સીધી રાખી આરામદાયક સ્થિતિમાં બેસો. બંને હાથ ઘુંટણ પર અને હથેળીઓ ખુલ્લી આકાશ તરફ રાખો.
- પછી ઉંડો શ્વાસ લો..
- શ્વાસ છોડો ત્યારે તમારા પેટ અને નાભિને કરોડરજ્જુ તરફ પાછળ ખેંચો. જેટલું તમારાથી થઇ શકે તેટલું પાછળની તરફ ખેંચો. તમે તમારો જમણો હાથ પેટ પર રાખી શકો છો જેથી પેટના સ્નાયુઓનું સંકોચન અનુભવી શકો. નાભીને અંદરની તરફ ખેંચો.
- નાભિ અને પેટને ઢીલા છોડશો એટલે શ્વાસ આપોઆપ ફેફસામાં જવા માંડશે.
- કપાલભાતિ પ્રાણાયામના એક રાઉન્ડમાં 20 શ્વાસ લેવા.
- એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ આંખો બંધ રાખી વિશ્રામ કરો અને શરીરમાં થતા સ્પન્દનોને અનુભવો.
- આ રીતે કપાલભાતિ પ્રાણાયામના બીજા બે રાઉન્ડ કરો.
- કપાલભાતિ પ્રાણાયામમાં બહાર જતો શ્વાસ (ઉચ્છવાસ) સક્રિય અને જોશીલો છે. આથી માત્ર તમારા શ્વાસને જોશથી બહાર ફેંકતા રહો. અંદર આવતા શ્વાસની ચિંતા ન કરો. જેવા તમે પેટના સ્નાયૂને ઢીલા છોડશો આપોઆપ શ્વાસ અંદર લેવાશે. તમારી સજાગતા માત્ર શ્વાસ છોડવા પ્રત્યે રાખો.
ફાયદાઓ:-
- પાચનક્રિયામાં વધારો કરીને વજન ઘટાડવામાં અસરકારક છે.
- પેટના સ્નાયુઓને સંતુલિત કરે છે.
- રક્ત પરિભ્રમણ સુધારે છે અને ચહેરા પર ચમક લાવે છે.
- પાચનમાર્ગના કાર્યમાં સુધારો કરે છે અને પોષકતત્વોને શોષવામાં અને પચાવવામાં મદદરૂપ થાય છે.
- પેટ સુડોળ અને વ્યવસ્થિત રાખે છે.
- ચેતાતંત્રને સક્રિય બનાવે છે, પ્રાણ પૂરે છે અને મગજના કોશોને ચેતનવંતા બનાવે છે.
- મનને શાંત અને ઉન્નત બનાવે છે.
કોણે ન કરવું?
- ખાસ કરીને જેમનું હૃદય નબળું હોય.
- કમળો થયેલો હોય.
- હાઈ બ્લડપ્રેશર રહેતું.
- એસીડીટી વધુ રહેતી હોય.
- પ્રેગ્નન્સી દરમ્યાન ન કરાય.
0 Comments
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.